Last modified on 31 जनवरी 2015, at 14:54

સાંજ / મણિલાલ ભગવાનજી દેસાઈ

આખો દિવસ
આળસુ કૂતરાની જેમ
બેસી રહેલા
બત્તીના થાંભલાઓ
એકાએક ભસવા માંડ્યા.
અવાવરુ ઘરના ખાટલા નીચે
ભરાઈ રહેલો અંધકાર
ભાંખોડિયાં ભરતો ભરતો
બહાર નીકળી ગયો.
કબૂતરના ગળાની
નિઃસહાયતા
ઘૂ ઘૂ કરતી થીજી ગઈ.
બારીમાંથી
(કોઈની આંગળી પકડી
પાછી આવવા)
ક્ષિતિજ પર દોડી ગયેલી
મારી નજર
ધીમે ધીમે
ભારે પગે પાછી આવવા માંડી
સૂરજ ઢળી ગયો
ને અંધારાએ
બારી બંધ કરી દીધી.