Last modified on 27 अप्रैल 2015, at 09:40

પાત્રો / નિરંજન ભગત

Sharda suman (चर्चा | योगदान) द्वारा परिवर्तित 09:40, 27 अप्रैल 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=નિરંજન ભગત |अनुवादक= |संग्रह= }} {{KKCatKav...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

કવિ:
...બસ ચૂપ ર્હો, નહીં તો અહીંથી
ચાલવા માંડો!
તમે બોલ્યા વિના રહેશો નહીં,
તો જાઓ માનવમેદની મહીં
'દીનતા-દારિદ્ર' પર ભાષણ ભલેને લાખ ભાંડો!
એ તમારા નાટ્યના સૌ નટ અહીં જોતા નથી
જાગી જશે!
આંખો મીંચીને કંઈક એ શોધી રહ્યાં,
વાણી વિના પણ કોઈને એ કંઈક સંબોધી રહ્યાં;
ત્યાં ચૂપ જો ર્હેશો, નથી શું લાગતું
કે એમનું મૂંગું હ્રદય જે માગતું
એ હાથ પણ લાગી જશે,
ને જો અગર ર્હેશો નહીં તો સ્વપ્ન જેવું
સ્વપ્ન પણ ભાંગી જશે!



ફેરિયો :
જો કે મને સૌ ફેરિયો કહે છે છતાં ફરતો નથી,
પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે ?
એટલે આ ભીંત પણ ક્યારેક તો
મારી હવે ઈર્ષા કરે છે.
હું ફર્યાથી એમ તો ડરતો નથી,
ફરવું જ મારે હોય, સોનાપુર
અહીંથી માત્ર છે બસ સો જ ડગલાં દૂર,
પણ મરતો નથી.
હું સાત વરસોથી અહીં આ ભીંતને ટેકે
ઊભો રહું છું, દિવસ ખોયો નથી એકે;
પુરાણી એની એ આ ભીંત,
મારે એક એની પ્રીત,
ને તો પણ અજાણી આજ લાગે, આજ પ્હેલાં
માત્ર જાણે સ્વપ્નમાં દીઠી;
હજુ ગઈ કાલ સુધી જે અદેખી, એ હવે આડું
જુવે, જાણે થતું એને અહીંથી ચાલવા માંડું;
ધરે વરસોવરસ એવી ચુનાની એ ચમક મીઠી,
અને વરસોવરસ કેવું કરચલીથી વધુ
ચીતરાય આ ચાડું!
અરે, આ ભીંત પર હું ઝાડ થૈને
શીદને તે ના ઝૂક્યો ?
સાતે વસંતો વહી ગઈ ને ફૂલ હું નાહક ચૂક્યો!

આંધળો :
કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બ્હાર
તે મારા જનમને કેટલી છે વાર ?
કે શું ઝાળ પણ ઝંપી ગઈ છે ચેહમાં
તે હું હવે વસતો નથી મુજ દેહમાં ?
તે કંઈક એની આંખથી આ આંખમાં
છે ભૂલથી જોવાઈ ગયું ?
જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું.
મેં આ જગતની કેટલી કીર્તિ સુણી'તી સ્વર્ગમાં
તે આવવાની લ્હાયમાં ને લ્હાયમાં
હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાંયમાં!
ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું!
હવે ચશ્મું થવા ચાહે સળગતો આ સૂરજ
રે તો ય શા ખપનું ?
ઊંચે માથું ઉઠાવી આભ સામે
પણ હવે ધરવું નથી,
આ એકમાંથી એ બીજા અંધારમાં સરવું નથી.
ને કોણ ક્હે છે ચન્દ્રસૂરજતારલા એ સૌ જલે ?
એ તો પલક અંધારનું હૈયું હલે!
મેં જોઈ લીધો છે જગતનો સાર
કે અહીં તેજની ભીતર વસ્યો અંધાર.
હું તો નીંદમાં ચાલી રહ્યો, ફિલસૂફ છું,
એવું કશું ક્હેશો નહીં;
તો આંધળો છું એમ કહીને
આંધળા ર્હેશો નહીં!

ભિખારી :
આ હાથ જે સામે ધર્યો
એ હાથનો ઘડનારો પણ હાથ
એના જેટલો લાચાર ને પામર ઠર્યો,
ત્યાં કોણ કોને આપશે રે સાથ ?
કરશે કોણ કોની બંદગી ?
આ વણહસ્યે ગુજરી ગઈ છે જિંદગી,
એમાં ય હસવાનું મને એકાદ તો
જો કે મળ્યું બ્હાનું,
પ્રભુનો કેટલો તે પાડ માનું ?
ક્હો તમે એણે ઘડ્યો આ હાથ
જેણે આ જગત સરજ્યું ? જગતનો નાથ
ક્હો છો ? આ જ ને એનું જગત
કે હું ય તે જેમાં વસું ?
ને તે છતાં જો 'ના' કહો તો નહીં હસું.
'હા' તો તમે ક્યાંથી કહો ?
જ્યાં હાથ મેં સામે ધર્યો
તેવો જ તે નન્નો સર્યો!
પણ ચન્દ્રસૂરજતારલા
હું આ હથેલીમાં રમાડું, કોઈ તો આપો ભલા!
જે કેમ કે હું ક્યારનો એમાં વહું છું
કેટલા યે ભારને,
સૂનકારને.

વૈશ્યા :
હું તો ભવોભવ સ્ત્રી હતી,
ને કોઇ ભવમાં તો સતી;
આજે હવે ? જાણે નનામી,
કોઇ રાધા ક્હે વળી તો કોઇ રામી!
દેહ છે, દેખાવડો ? એ તો ઉપરની છે સુગંધો;
લાગણી ? લટકાં કહો,
ને ચાલશે ક્હેશો અગર જો માત્ર ધંધો
લોક તો કૈં કૈં મળે છે, નિત નવા,
પણ હા મળે છે માત્ર સૌ ભૂલી જવા.
દિનભર ન જોતું કોઈ મોં સામું,
છતાં રાતે ન રહેતું કોઇ સરનામું.
તમે વાળ્યો હશે ક્યારેક કાગળનો ડૂચો,
ટાળ્યો હશે જે બારીએથી બ્હાર, રસ્તા પર:
પવનને પ્યાર તે પાડે ઉપાડે
જે કદી નીચો કદી ઊંચો;
કહોજી કેટલા છ સસ્તા દર!
સલામત છે તમારા મ્હેલની ભીંતે
મઢેલી કો છબી જેવી કુંવારી કન્યકા નિત્યે;
અમારી જાત જીવે છે, પ્રભુની મ્હેરબાનીથી
સદા જીવશે જ ધરતી પર,
નજર સૌ નાંખશે ને ત્યાં લગી
રોજ 'ફરતી' પર ?

પતિયો :
પણે સૌ લોકની નાજુક પાની
એંઠને ઓળંગતી, અડતી નથી;
ને એમ એ સૌની નજર મારી પરે પડતી નથી.
દખ્ખણ ભણી? ના, એ દિશા તો જમતણી;
શું એમ માની કોઈનું મોં એ ભણી ર્હેતું નથી?
એ તો હવે પથ્થર, હવે શાનો મણિ ?
શું એમ માની કોઈ ખરતા તારલાને
લેખમાં લેતું નથી?
મુજ બોલને પણ કોઇ કાને
કેમ નહીં ધરતું હશે?
આ બોલની ચોપાસ
વીંટળાઈ વળ્યો છે રોગિયાનો શ્વાસ
તે એથી જતું ને આવતું
આ લોક શું ડરતું હશે?
આ હવા પર એમનું કૈં ચાલતું જો હોતને
તો શ્વાસ ક્યાંથી હોત મારા પ્રાણમાં ?
પણ એમ તો કોણે જીત્યું છે મોતને ?
ને આ હવાએ કોઇની યે વાતને
ક્યારે લીધી છે ધ્યાનમાં ?
આ લોક તો લાચાર (ને ક્યારે ન'તા ?)
ને શી હઠીલી છે હવા, હું એટલે જીવી રહ્યો;
કોહી ગયું છે પોત કાયાનું છતાં
મજબૂત એ બખિયા વડે સીવી રહ્યો.

સ્વગતોક્તિ :
મેરિન સ્ટ્રીટ, પડખેથી આંધળો પસાર થાય છે,
એને જોઇને ફેરિયો :
આ આંધળો છે તે છતાં
ફરતો ફરે છે બેપતા!
ગિરગામ રોડ, પડખેથી ભિખારી પસાર થાય છે,
એને સાંભળી આંધળો :
આ કોણ છે ? જેની નજર તોફાન મચવે,
ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે!
કોલાબા, પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઇને ભિખારી :
અરે, આ દેહ પર છે કેટલી દોલત!
દસમા ભાગની મારી કને જો હોતને
તો આમ ન બોલત!
એપોલો, પડખેથી પતિયો પસાર થાય છે, એને જોઈને વેશ્યા:
અહો, શી ખુશનસીબી! કોઇનીયે આંખ જ્યાં
રોકાય ના,
છૂરી સમી ભોંકાય ના!
બોરીબંદર, પડખેથી કવિ પસાર થાય છે, એને જોઈને પતિયો:
વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરીઓ,
ક્હો, કેમ લાગે છે મને સૌ આ જનમનાં વેરીઓ ?
મધરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં, કવિ :
બસ ચૂપ ર્હો, નહીં તો અહીંથી ચાલવા માંડો...