Last modified on 5 जुलाई 2016, at 20:33

આયખાને એવું ઇંધણ આપજે / રાકેશ હાંસલિયા

આયખાને એવું ઇંધણ આપજે,
જિન્દગીભર બસ મથામણ આપજે.

કોણ કહે છે દાનમાં દે ખેતરો,
પંખીનો ખોબો ભરી ચણ આપજે.

કોઈ લાગે ના પરાયું વિશ્વમાં,
આ નજરને દિવ્ય આંજણ આપજે.

પાનખરનો સ્પર્શ પામે ના કદી,
બારણાંને એવું તોરણ આપજે.

બાંકડાથી ગુફતગૂ કરવી પડે,
કોઈને એવું ન ઘડપણ આપજે.

વિદ્વત્તાને શું કરું ‘રાકેશ’ હું ?
કોઈ બાળક જેવી સમજણ આપજે !