Last modified on 28 दिसम्बर 2014, at 12:16

નિયમરહિતા / ભરત ત્રિવેદી

કવિતા કરવા બેઠો છું, ને
સુવાસ આવવા લાગે છે હમામ સાબુની
તીખી ને મર્દાના
સાંજના પાંચ થયા ને
ખાલી સ્ટીલની બાલદીમાં
ટપ ટપ પાણી આવવું ચાલું થઈ જાય છે,
પણ અહીં તો કયાં કશું ય
કહીને આવતું હોય છે!
એ બે રીતે ના બને -
એક તો લોકો જાણતા હોય
તેની, ને
આપણે જાણતા હોઈએ
તેની તો બને જ કયાંથી !
નળ ખુલ્લો હોય
ને સાવ ખાલી બાલદી તેની નીચે
રાખી મૂકી હોય ને
ગમે ત્યારે ટપ ટપ ટપ
થવા લાગે...