भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

ચિત્ત તું શીદને ચિંતા ધરે / દયારામ

Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) द्वारा परिवर्तित 16:19, 22 जुलाई 2013 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= દયારામ |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <po...' के साथ नया पन्ना बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)
यहाँ जाएँ: भ्रमण, खोज

ચિત્ત તું શીદને ચિંતા ધરે ?
કૃષ્ણને કરવું હોય તે કરે !

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે
કૃષ્ણને કરવું હોય તે કરે !

જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુંટાઈ તું મરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપ તણું અજ્ઞાનપણુ એ, મૂળ વિચારે ખરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે ?
કૃષ્ણને કરવું હોય તે કરે !