Last modified on 18 जुलाई 2013, at 16:54

આજ મારાં નયણાં સફળ થયાં / નરસિંહ મહેતા

આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,
સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.

જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું;
પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.

વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;
હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.

કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,
સ્વર પૂરે સર્વ સુંદરી, અતિ આનંદ થાયે.

ધન્ય જમુનાનો તટ, ધન્ય વ્રજનો રે વાસ;
ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો જ્યાં રમ્યા રાસ.

અંતરિક્ષથી દેવતા સહુ શોભા જોવાને આવે;
પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.