भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને / નરસિંહ મહેતા

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો,
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને.

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો'ક જાણે,
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને.

નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દ્રષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે,
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને.

ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે,
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને.

ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેહને તે પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે,
સત્ય છે એ જ મન એમ સૂઝે,
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને.

સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું,
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને.