Last modified on 19 अगस्त 2013, at 16:09

સાનમાં રે શાન તમને ગુરુજીની કહું / ગંગાસતી

સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ
ઉપજે આનંદ કેરા ઓઘ રે,
સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે
ને મટી જાય માયા કેરો ક્ષોભ રે ... સાનમાં રે

ચૌદ લોકથી વચન છે ન્યારું પાનબાઈ
એની તો કરી લો ઓળખાણ રે,
યથાર્થ બોધ વચનનો સુણો પાનબાઈ
મટી જાય મનની તાણવાણ રે ... સાનમાં રે

વચન થકી ચૌદ લોક રચાણાં ને,
વચન થકી ચંદા ને સૂરજ રે,
વચન થકી રે માયા ને મેદની
વચન થકી વરસે સાચા નૂર રે .... સાનમાં રે

વચન જાણ્યું એણે સર્વે જાણ્યું પાનબાઈ
ભણવું પડે નહીં બીજું કાંઈ રે,
ગંગા સતી એમ કરી બોલ્યાં રે
નડે નહીં માયા કેરી છાંય રે .... સાનમાં રે